Saturday, June 6, 2026

Fact Check

Fact Check: લોકસભા ચૂંટણી 2024માં નરેન્દ્ર મોદી જીત્યા તે વારાસણી બેઠક પર EVM કૌભાંડનો દાવો ખોટો  

Written By Dipalkumar, Edited By JP Tripathi
Jun 10, 2024
banner_image

Claim – પીએમ મોદી ચૂંટણી લડ્યા એ યુપીની વારાણસી બેઠક પર 11 લાખ લોકોએ વોટ નાંખ્યા અને ઈવીએમમાંથી નીકળ્યા 12.87 લાખ, 1.87 લાખ વોટ મશીનમાંથી વધુ નીકળ્યા

Fact – દાવો ખોટો છે. ચૂંટણી પંચ અનુસાર દાવામાં સામેલ આંકડા ગેરમાર્ગે દોરનારા છે. તદુપરાંત વીડિયો જૂનો છે.

લોકસભાની ચૂંટણીઓના પરિણામ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડા પ્રધાન પદના શપથ લઈ લીધા છે. પરંતુ દેશમાં દરેક ચૂંટણી વખતે ઈવીએમ મશીન મામલેના દાવાઓ અને વિવાદો હંમેશાં રહેતા આવ્યા છે.

આ વખતે પણ ચૂંટણીના પરિણામો પછી સોશિયલ મીડિયામાં એક વાઇરલ વીડિયો જોવા મળ્યો જેમાં દાવો કરાયો છે કે પીએમ મોદી ચૂંટણી લડ્યા એ ઉત્તર પ્રદેશની વારાણસીની બેઠક (મતક્ષેત્ર)માં 11 લાખ લોકોએ વોટ નાંખ્યા પણ ઈવીએમ મશીનમાંથી 12.87 લાખ વોટ નીકળ્યા.

Courtesy: X@ChobeyManisha

સોશિયલ મીડિયા એક્સ પર યુઝરે લખ્યું કે, “આ રહ્યો ઈવીએમનો પુરાવો..વારાણસીમાં 11 લાખ લોકોએ વોટ નાંખ્યા, ઈવીએમમાંથી નીકળ્યા 12.87 લાખ વોટ? આ બધું એવું જ છે જેમ કે 11 દિવસો બાદ મશીનમાં 1 કરોડ 7 લાખ વોટ વધારી દેવાયા, આ 240 બેઠકો આના કારણે જ આવી છે, નહીં તો 100 બેઠકો પર સંકેલાઈ જવાનું નક્કી હતું? શું આની ક્યારેય તપાસ થશે? (આર્કાઇવ પોસ્ટ)

સોશિયલ મીડિયા યુઝરે આની સાથે એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં એક વ્યક્તિ ઈવીએમ મશીન પર સવાલો ઉઠાવી રહી છે અને ઉપરોક્ત દાવો કરી રહી છે.

Fact Check/Verification

વડા પ્રધાન મોદી 2019 અને 2024ની લોકસભા ચૂંટણીમાં વારાણસી બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા છે.

સૌપ્રથમ 2024ની લોકસભા ચૂંટણીમાં વારાણસી બેઠકના મતદાનના આંકડા તપાસતા માલૂમ પડ્યું કે, ચૂંટણી પંચ અનુસાર આ વખતની ચૂંટણીમાં વારાણસી બેઠકમાં મત આપવા લાયક મતદારોની કુલ સંખ્યા 19,97,578 હતી અને 56.49 ટકા મતદાન થયું હતું. જેમાં વોટર ટર્નઆઉટની વાત કરીએ તો, 11,28,527 મત પડ્યા હતા. તેમાંથી ઈવીએમમાં 11,27,081 વોટ ઈવીએમમાંથી ગણતરીમાં લેવાયા હતા. તદુપરાંત 3062 વોટ પોસ્ટલ બૅલેટથી પડ્યા હતા. આમ કુલ ગણતરીમાં લેવાયા મતોની સંખ્યા 11,30,143 છે. (આર્કાઇવ)

Courtesy : Election Commission of India Screengrab

જેનો અર્થ થાય છે કે, વારાસણી બેઠક પર વર્ષ 2024ની ચૂંટણીમાં ઈવીએમમાંથી 1 લાખ 87 હજાર વોટ વધુ નથી નીકળ્યા.

દરમિયાન, સોશિયલ મીડિયા પર વધુ તપાસ કરતા એ પણ જાણવા મળ્યું કે આ વીડિયો અને દાવો બંને જૂના છે. અને તેને લોકસભા ચૂંટણી-2024 પહેલાં પણ વાઇરલ કરવામાં આવ્યો હતો.

અત્રે ખાસ નોંધવું કે ચૂંટણી પંચે ખુદ આ દાવાનું ખંડન કરી તેને ખોટો અને ગેરમાર્ગે દોરનારો ગણાવીને ખુલાસો કર્યો હતો. (આર્કાઇવ પોસ્ટ)

વધુમાં ચૂંટણી પંચે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીના મતદાનના આંકડાઓ પણ તેમાં રજૂ કર્યાં અને લખ્યું કે, 2019માં વારાણસીમાં સંસદીય મતક્ષેત્રમાં કુલ 18,56,791 મતદારો હતા. અને તેમાં કુલ 10,58,744 મતો પડ્યા અને ઈવીએમમાંથી ગણતરી થઈ. જ્યારે 2085 વોટ પોસ્ટલ બૅલેટથી પડ્યા હતા.  

વીડિયોમાં એ પણ દાવો કરાયો હતો કે કુલ 543માંથી 373 બેઠકો એવી છે જેમાં મત પડ્યા તેનાથી વધુ મતો ઈવીએમ મશીનોમાંથી નીકળ્યા છે એટલે ઈવીએમ કૌભાંડ થયું છે.   

જોકે, ચૂંટણી પંચે જ એપ્રિલ-2014માં ખુલાસો કર્યો હતો કે આ દાવો પણ પાયાવિહોણો છે  અને ખોટો છે. કેમ કે વીડિયોમાં વ્યક્તિ કહી રહી છે કે તેને આ આંકડાઓ ચૂંટણી પંચ દ્વારા મળેલા લેટરમાંથી મળ્યા છે, જોકે ચૂંટણી પંચે તેમાં સ્પષ્ટ કહ્યું કે આવો કોઈ પત્રવ્યવહાર તેના દ્વારા કરવામાં આવ્યો નથી. એટલે આંકડાઓ બંધબેસે છે એ દાવો પણ ખોટો છે.

EVM પર સવાલ

લોકસભા ચૂંટણીમાં વારાણસી બેઠકમાં મતદાનના આંકડાઓ વિશેના દાવાની વધુ તપાસ માટે ગૂગલ પર સર્ચ કરતી વખતે એનડીટીવીનો એક રિપોર્ટ પણ જોવા મળ્યો.

જેમાં વીડિયોમાં દાવા કરનાર વ્યક્તિ ઑલ ઇન્ડિયા બેકવર્ડ ઍન્ડ માઇનૉરિટી કમ્યૂનિટીઝ ઍમ્પ્લોઇઝ ફેડરેશન (BAMCEF)ના પ્રેસિડેન્ટ વામન મેશરામ હોવાનું કહેવાય છે.

તેઓ ઈવીએમના ટીકાકાર રહ્યા છે અને તેમણે ભાજપ દ્વારા ઈવીએમના દુરુપયોગના આરોપો સાથે વિરોધ પ્રદર્શનો પણ કરેલા છે. વર્ષ 2014માં તેમણે ઈવીએમ મામલે ચૂંટણી પંચની ઑફિસ બહાર મોટી સંખ્યામાં લોકોને સાથે લઈ વિરોધ પ્રદર્શન હાથ ધર્યું હતું. (આર્કાઇવ)

Conclusion

વીડિયોમાં કરવામાં આવેલો દાવો ખોટો છે. ચૂંટણી પંચના આંકડા તપાસતા માલૂમ પડે છે કે દાવામાં ઉલ્લેખવામાં આવેલી આંકડાકીય માહિતી ખોટી છે.

Result – False

Sources
Election Commision of India
NDTV Report, 6 May, 2024


કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
ifcn
fcp
fcn
fl
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

14,935

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage