Fact Check
જવાહરલાલ નેહરુ અને અન્ય કેબિનેટ મિનિસ્ટર ઈફ્તાર પાર્ટી કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરનું સત્ય
Claim : 1947માં જવાહરલાલ નેહરુએ તેમના કેબિનેટ સહયોગી શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામને ઈફ્તાર પાર્ટી આપી હતી
Fact : 1948 ભારતના પહેલા ગવર્નર જનરલ તરીકે સી.રાજગોપાલાચારી નિયુક્ત થવા પર સરદાર પટેલ દ્વારા નહેરુ કેબિનેટને જમવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે, જેમાં ડાઇનિંગ ટેબલ પર જવાહરલાલ નેહરુ અને અન્ય નેતાઓ સાથે જોવા મળે છે. ફેસબુક યુઝર્સ વાયરલ તસ્વીર સાથે દાવો કરી રહ્યા છે કે “1947માં જવાહરલાલ નેહરુએ તેમના કેબિનેટ સહયોગી શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામને ઈફ્તાર પાર્ટી આપી હતી“
વધુમાં પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે “.તસવીરમાં ડૉ.આંબેડકર અને રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ પણ નજરે પડે છે,વી.કે.કૃષ્ણ મેનન સહિત અન્ય ઘણા મંત્રીઓ પણ છે! નેહરુનું આ તુષ્ટિકરણ લાલ બહાદુર શાસ્ત્રીએ બંધ કરી દીધું હતું પણ ઈન્દિરા ગાંધીએ ફરી શરૂ કર્યું હતું, ત્યારપછી તે અવિરત ચાલુ રહ્યું, પછી નરેન્દ્ર મોદીએ આ તુષ્ટિકરણ બંધ કર્યું!”

ન્યૂઝચેકરની તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરલ તસ્વીર ઈફ્તાર પાર્ટીની નથી, તેમજ નરેન્દ્ર મોદીએ ઈફ્તાર પાર્ટી બંધ કરાવી હોવા અંગે ભ્રામક દાવા ફેલવવામાં આવેલ છે.
Fact Check / Verification
જવાહરલાલ નેહરુએ તેમના કેબિનેટ સહયોગી શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામને ઈફ્તાર પાર્ટી આપી હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા alamy વેબસાઈટ પર સમાન તસ્વીર જોવા મળે છે. અહીંયા આપવામાં આવેલ માહિતી અનુસાર, 1948 ભારતના પહેલા ગવર્નર જનરલ તરીકે સી.રાજગોપાલાચારી નિયુક્ત થવા પર સરદાર પટેલ દ્વારા નહેરુ કેબિનેટને જમવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
મળતી માહિતીના આધારે વધુ તપાસ કરતા ટ્વીટર પર @ArchiveIndia દ્વારા ઓક્ટોબર 2021ના પોસ્ટ કરવામાં આવેલ તસ્વીર જોઈ શકાય છે. આ તસ્વીર એક એંગલથી લેવામાં આવી છે, જેમાં જવાહરલાલ નેહરુ અને અન્ય કેબિનેટ મિનિસ્ટર ડાઇનિંગ ટેબલ પર બેઠેલા જોવા મળે છે. આ તસ્વીર હોમાઈ વ્યારાવાલા દ્વારા લેવામાં આવેલ છે.
હોમાઈ વ્યારાવાલા ભારતની પહેલી મહિલા પ્રેસ ફોટોગ્રાફર હતી, જેમનું મૃત્યુ જાન્યુઆરી 2012ના થયું હતું. તેઓ દ્વારા આઝાદી બાદ રાજકીય સમારોહ અને નેતાના ફોટો લેવામાં આવેલ છે. encyclopediatic બ્લોગ પર વ્યારાવાલા દ્વારા લેવામાં આવેલ કેટલીક તસ્વીરો સાથે વાયરલ તસ્વીર પણ જોઈ શકાય છે. જેમાં નહેરુ અને તેમના કેબિનેટ સહયોગીઓ ડાઇનિંગ ટેબલ પર જોવા મળે છે.

તસ્વીર સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, 1948માં સી. રાજગોપાલાચારી ગવર્નર-જનરલ બન્યા પછી સરદાર પટેલ દ્વારા આમંત્રિત જમવાના કાર્યક્રમમાં નહેરુની કેબિનેટ જોવા મળી હતી.
જયારે નરેન્દ્ર મોદી દ્વારા ઈફ્તાર પાર્ટી બંધ કરવવા અંગે ગુગલ સર્ચ કરતા hindustantimes દ્વારા જૂન 2018ના પોસ્ટ કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહીંયા રાષ્ટ્રપતિ કોવિંદના પ્રેસ સેક્રેટરી દ્વારા આપવામાં આવેલ ભાષણ મુજબ, “રાષ્ટ્રપતિ કોવિંદે કાર્યભાર સંભાળ્યા પછી, તેમણે નિર્ણય લીધો હતો કે કરદાતાના ખર્ચ પર રાષ્ટ્રપતિ ભવન જેવી જાહેર ઇમારતમાં કોઈ ધાર્મિક ઉજવણી નહીં થાય. આ એક બિનસાંપ્રદાયિક રાજ્યના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલ નિર્ણય છે અને તમામ ધાર્મિક પ્રસંગોને લાગુ પડે છે.

Conclusion
જવાહરલાલ નેહરુએ તેમના કેબિનેટ સહયોગી શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામને ઈફ્તાર પાર્ટી આપી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીર હોમાઈ વ્યારાવાલા દ્વારા 1948માં લેવામાં આવેલ છે. તેમજ સી.રાજગોપાલાચારી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થવા પર સરદાર પટેલ દ્વારા આ પાર્ટી આપવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા યુઝર્સ ઈફ્તાર પાર્ટીના ભ્રામક દાવા સાથે તસ્વીર શેર કરી રહ્યા છે.
Result : False
Our Sources
Photo’s by alamy Website
Twitter Post Of @ArchiveIndia, on Oct 29, 2021
Blog Post Of encyclopediatic
Media Reports Of hindustantimes, On Jun 2018
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044